રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બુધવારે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવું નક્કી થયું હતું કે, રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય. પણ કરોડો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એ માટે દરેક વિદ્યાર્થીઓના ઘરે વિષયલક્ષી પુસ્તકો પહોંચાડવામાં આવશે. આ પુસ્તકો શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડશે.
જ્યારે કૉલેજના શિક્ષણ માટે સેમેસ્ટ 3,5 અને 7નું ઓનલાઈન શિક્ષણકાર્ય તા.21 જૂનથી શરૂ કરી દેવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ શિક્ષણ વિભાગની આ બેઠકમાં શાળા ક્યારથી શરૂ કરવી, એડમિશન પ્રક્રિયા, વિદ્યાર્થીઓ માટેની સવલત જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા સાયન્સ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવા પણ જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ હજું સુધી બોર્ડની પરીક્ષાના પરિણામની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. હજું પણ ધો.10 અને 12 કોમર્સનું પરિણામ જાહેર થવાનું બાકી છે. જે આવ્યા બાદ કેટલીક કૉલેજ ચોક્કસ નિયમને આધીન થઈ એડમિશન પ્રક્રિયા શરૂ કરશે એવી પૂરી શક્યતાઓ છે. અગાઉ એવી પણ વાત સામે આવી હતી કે, જૂન મહિનામાં સ્કૂલ શરૂ કરી દેવામાં આવશે. પણ હવે આ મહિનાથી કોઈ સ્કૂલ શરૂ થશે નહીં.
બીજી તરફ જૂન મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ વધે એવા એંધાણ છે. સ્કૂલ શરૂ થાય તો ભીડ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન ન થાય એ માટે જૂન મહિનામાં સ્કૂલ શરૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 400થી વધું પોઝિટિવ કેસ સામે આવતા હવે કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17000ને પાર થઈ ચૂકી છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khabarchhe Gujarati