અમદાવાદ તા.15 : વિદ્યાસહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષકોની આંતરજીલ્લા બદલી તથા 10 વર્ષ પૂર્ણ થતા સુધી આંતર તાલુકા બદલી પરના નિયંત્રણોની નીતિને ગુજરાત હાઈકોર્ટે બહાલ રાખી છે અને આ નીતિને પડકારનાર શિક્ષકોને એવી ટકોર કરી હતી કે બદલી યોગ્યતા માટેની કેટલીક છુટછાટો માટે તેઓએ સરકારનો આભાર માનવો જોઈએ.
આ મામલે હાઈકોર્ટમાં લાંબા કાનૂની જંગ સુનાવણી બાદ જસ્ટીસ બિરેન વૈષ્ણવે એવો ચુકાદો આપ્યો હતો કે સરકારનો નિર્ણય અંતરીયાળ ગામોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના હિતમાં છે તેમાં કોઈ ખોટો કે ખરાબ ઉદેશ નથી. પાંચ વર્ષની નોકરી બાદ આંતરજીલ્લા બદલીના નિયમનો વિરોધ કરતા શિક્ષકો માત્ર તાલુકા બદલવા માંગતા શિક્ષકોની સમસ્યાઓ સાથે સરખામણી ન કરી શકે.
10 વર્ષની નોકરી સુધી આંતર તાલુકા બદલી નહીં કરવાના નિયમથી શિક્ષકોના મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. તેઓ સમાન તાલુકામાં રહે તે બાળકોને વધુ સારો અભ્યાસ કરાવી શકે. વાસ્તવમાં આંતરજીલ્લા બદલી માટેનો સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કર્યો તે માટે સરકારનો આભાર માનવો જોઈએ.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar