WATCH GUJARAT

25k Followers

#Vadodara - સંસ્કારી નગરીમાં રહેતા પાલતુ પશુઓની ભુખ સંતોષવા શરૂ થશે 'રોટી બેંક'

28 May 2021.05:57 AM

  • કેટલાક ઘરોમાં તો પોતે જમતા પહેલા ગાય - કુતરાનું જમવાનું પહેલા બાજુ પર મુકે તેવો પણ નિયમ પાળતા હતા
  • હવે પહેલાની સંખ્યામાં પાલતુ પશુઓને જમવાનું આપવું શક્ય રહ્યું નથી
  • પ્રાથમિક તબક્કામાં બે દિવસ લોકો અમારા દ્વારા નક્કી કરવામાં આવેલા સ્પોટ પર જઇને રોટલી - ભાખરી આપી શકશે - રૂકમિલ શાહ
  • પશુઓ ભુખ્યા ન રહે તેવા પ્રયાસો કરવાથી સંસ્કારી નગરી તરીકેની શહેરની ઓળખ વધુ મજબુત થશે
  • મારૂ માનવું છે કે, શહેરમાં 365 દિવસ રોટી બેંક ચાલે તેવી વ્યવસ્થા હોવી જોઇએ - રૂકમિલ શાહ

WatchGujarat.

વડોદરાને સંસ્કારી નગરીનું બિરૂદ આપવામાં આવ્યું છે. સંસ્કારી નગરીમાં પાલતુ પશું ભુખ્યા ન રહે તે માટે શહેરનો યુવાન રૂકમિલ શાહ રોટી બેંક શરૂ કરશે. રોટી બેંકમાં એકત્ર થયેલી રોટલીઓને પાલતુ ગાય - કુતરાને ખવડાવવામાં આવશે.

રોટી બેંકના નવતર પ્રયાસ અંગે બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં કોરોના કાળ પહેલા લોકો પાલતુ ગાય અને કુતરાને જમવાનું આપતા હતા. કેટલાક ઘરોમાં તો પોતે જમતા પહેલા ગાય - કુતરાનું જમવાનું પહેલા બાજુ પર મુકે તેવો પણ નિયમ પાળતા હતા. પરંતુ કોરોના કાળમાં બધુ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. હવે પહેલાની સંખ્યામાં પાલતુ પશુઓને જમવાનું આપવું શક્ય રહ્યું નથી. ત્યારે અમારી ટીમ દ્વારા રોટી બેંક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

 રૂકમિલ શાહ

રૂકમિલ શાહે ઉમેર્યું કે, અમે શહેરની પ્રથમ રોટી બેંક શરૂ કરવા જઇ રહ્યા છે. અમારી રોટી બેંક ગુરૂવારે અને રવિવારે પાળતુ પશુઓને રોટલી પુરી પાડશે. પ્રાથમિક તબક્કામાં બે દિવસ લોકો અમારા દ્વારા નક્કી કરવામાં આવેલા સ્પોટ પર જઇને રોટલી - ભાખરી આપી શકશે. ત્યાર બાદ અમારી ટીમના વોલંટીયર્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઇને ગાય અને કુતરાને રોટલી ખવડાવવામાં આવશે.

રૂકમિલ શાહે વધુમાં જણાવ્યું કે, લોકો અમારી સાથે બે રીતે જોડાઇ શકે છે. એક તો અમારા દ્વારા નિયત કરેલી જગ્યાએ ગુરૂવારે અને રવિવારે રોટલી બનાવીને પહોંચાડી શકે છે. અથવાતો અમારા દ્વારા રોટલી દિઠ નક્કી કરેલી કિંમત ચુકવીને સહભાગી બની શકે છે. ડોનેશનનો વિકલ્પ એવા લોકો માટે રાખ્યો છે, જેઓ જાતે બે દિવસોમાં આવીને રોટલી આપી શકે તેમ નથી. પરંતુ અમારા રોટી બેંકના પ્રયાસમાં સહકાર આપવા ઇચ્છે છે. અમારા રોટી બેંકના કાર્યક્રમ અંગે વધુ માહિતી અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી મેળવી શકાશે.

રૂકમિલે આખરે જણાવ્યું કે, મારૂ માનવું છે કે, શહેરમાં 365 દિવસ રોટી બેંક ચાલે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. જેને કારણે કોઇ પણ પશું ભુખ્યું ન રહે. કોરોના કાળમાં અમે અને અમારા જેવી અનેક સંસ્થાઓએ ગરીબો સુધી જમવાનું પહોંચાડ્યું હતું. તમામ લોકોના પ્રયાસોને કારણે ભાગ્યે જ શહેરમાં કોઇ વ્યક્તિ ભુખ્યો રહ્યો હોય તેવો વારો આવ્યો હશે. હવે અમે પાલતુ પશુઓ માટે રોટી બેંક શરૂ કરવા જઇ રહ્યા છે. અમારા પ્રયાસનો એક હેતું એવો પણ છે કે, લોકો જાતે પણ આ રીતે પાલતુ પશુઓને જમાડવા માટે પ્રેરાય. અને આ રીતે સંસ્કારી નગરી તરીકેની મારા શહેરની ઓળખ વધુ મજબુત થશે તેવો મને વિશ્વાસ છે.

Original article: #Vadodara - સંસ્કારી નગરીમાં રહેતા પાલતુ પશુઓની ભુખ સંતોષવા શરૂ થશે ‘રોટી બેંક’

©2021 Watch Gujarat News : LIVE LATEST TODAY Online. All Rights Reserved.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Watch Gujarat