રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તેવા અભિગમથી CM રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.
તાત્કાલિક અસરથી પાણી છોડવાના આપ્યા આદેશ
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત-રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે.
રાજ્યના તમામ ખેડૂતોને થશે લાભ
તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15 હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે. એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને 6 હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2 લાખ 10 હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે.
CM રૂપાણીનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય
ઉલ્લેખનીય છે કે, CM રૂપાણીએ આ અગાઉ જૂલાઇ મહિનામાં ખેડૂતોને 8 ને બદલે 10 કલાક વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે. હવે, વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં તેમણે રાજ્યના જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati