ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ
રાજ્યનાં મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીનાં રાજીનામાં ઘણા બધા ભાજપ નેતાઓના નામ મુખ્યમંત્રી બનવાની રેસમાં ઘણા બધા નામો આહલ ચાલી રહ્યા છે ત્યારે રાજ્યનાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ લોકોની સામે આવ્યા છે.
હું સીએમની રેસમાં નથી : પાટીલ
સી આર પાટીલે કહ્યું કે આજે વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. સ્વાભાવિક પણે નવા મુખ્યમંત્રી માટે મીડિયામાં ઘણા બધા નામો ચાલી રહ્યા છે જેમા મારુ નામ પણ સામે આવી રહ્યું છે. હું VIDEO દ્વારા સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું આવી કોઈ રેસમાં નથી.
182માંથી 182 બેઠકો જીતીશું : પાટીલ
પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ નવા મુખ્યમંત્રી અને વિજય રૂપાણી સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો જીતવાનો જે અમારો ટાર્ગેટ છે તે અમે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે કામ કરીશું.
આવતીકાલે ભાજપના તમામ ધારસભ્યોને ગાંધીનગર બોલાવાયા
ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.
કમલમમાં ભારે હલચલ
વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે. હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
બીજા કયા નામો આગળ
ઝડફિયા સિવાય મનસુખ માંડવીયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેમને હાલમાં જ કેન્દ્રમાં આરોગ્ય મંત્રી પદ આપી મોટી જવાબદારી આપવામાં આવી છે. માંડવીયા બાદ નીતિન પટેલ અને સી આર પાટિલનું નામ પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અમિત શાહ આજે અમદાવાદ આવે અને તે બાદ બેઠકમાં જ નામ પર મહોર મારવામાં આવશે.
પાટીદાર ચહેરા પર દાવ રમશે ભાજપ! ગુજરાતમાં બે-બે DyCM!
વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં એક મોટો અને મજબૂત ચહેરો તથા બધી જ જાતિઓને ધ્યાનમાં રાખીને કોઈ નારાજ ન રહે તેવી સરકાર ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદારો ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભાજપ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે જેમા ગોરધન ઝડફિયા અને માંડવીયા આગળ ચાલી રહ્યા છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બને તેવી ફોર્મ્યુલા સામે આવી રહી છે. કમલમમાં જે ચર્ચા ચાલી રહી છે ત્યારે નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati