વિજય રૂપાણીએ CM પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપ્યું ત્યારે એવું હતું કે માત્ર તેમણે જ રાજીનામું આપ્યું છે. જો કે બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તેનો રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો અર્થ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું ધરી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા CMની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે.
નવા CM ન બને ત્યાં સુધી રૂપાણી રહેશે કાર્યકારી મુખ્યમંત્રી
વિજય રૂપાણી અને તેમના મંત્રીઓએ રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું ત્યારે સાથે વિનંતી પણ કરી છે. જેમાં આગામી સમયમાં નવા CM અને મંત્રીઓ ન બને ત્યાં સુધી હાલના મુખ્યમંત્રી અને મંત્રીઓ હોદ્દા પર ચાલુ રખાય તેવું કહેવામાં આવ્યું છે. જેનો રાજ્યપાલે સ્વીકાર કરતા હવે નવી સરકાર ન બને ત્યાં સુધી હાલનું જ માળખું કાર્યકારી સરકાર તરીકે યથાવત્ રહેશે.
આગામી સમયમાં મોટી જાહેરાતની સંભાવના
આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે આખે આખી ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કંઈક મોટી જાહેરાત થવાની શક્યતા લાગે છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતા પણ વધારે આ સ્ટ્રેટજી વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો લાગી રહી છે. આજે જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડીમંડળની બેઠક મળશે ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં હજુ કેટલા મોટા ભૂકંપ આવે છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોઈ પણ હશે તે વાત તો છે જ પરંતુ હવે નવા મંત્રીઓમાં કોને સ્થાન મળશે તે પણ રસપ્રદ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે જેમ વડાપ્રધાન મોદી ખુદ કેન્દ્રીય મંત્રી મંડળમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે. તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણીની વિદાય સાથે 'ગંજીફો ચિપાશે'. એટલે રૂપાણી સરકારમાં બિનઅસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાઈ હશે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા હતા અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય નવી સરકારનો હશે. પણ હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે એટલે આગળ કયા ચહેરાઓ સામે આવે છે તે જોવાનું રહેશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati