એજન્સી, રાયપુર
છત્તીસગઢમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બુધવારે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આની જાહેરાત કરી હતી. સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, આ બજેટમાં હું સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું.
રાજસ્થાન બાદ છત્તીસગઢ બીજું રાજ્ય બની ગયું છે જેણે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. અગાઉ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 23 ફેબ્રુઆરીએ તેમના ચોથા બજેટમાં જાહેરાત કરી હતી કે રાજ્યની કોંગ્રેસ સરકાર NPS છોડીને તેના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરશે.
ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સંરક્ષણ દળો સિવાય 1 એપ્રિલ, 2004થી જૂની પેન્શન યોજનાની જગ્યાએ નવી પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 1 એપ્રિલ પછી સરકારી નોકરીમાં જોડાનારાઓને તેમના પગારમાંથી નવી પેન્શન યોજનામાં પેન્શનમાં યોગદાન આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે નવી પેન્શન યોજના લાગુ કરી હતી, પરંતુ રાજ્યો માટે તેને ફરજિયાત બનાવી ન હતી. મોટાભાગના રાજ્યોએ તેને અપનાવ્યું હતું, પરંતુ થોડા સમય પછી રાજ્યના કર્મચારી સંગઠનોએ નવી પેન્શન યોજનાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay